હે અભાવો વચ્ચે જન્મેલા ગરીબ-પછાત યુવાનો...!
તમારે પ્રેમ કરવો છે...?
ચાલો હું તમને પ્રેમ કરતા શીખવું.
ફક્ત શરત એટલી જ કે તમારે આ સ્ટોરી વાંચવાની છે.
ઉત્તરપ્રદેશમાં બરેલી નામના શહેરમાં 1988માં એક ગરીબ પરિવારમાં પિતા છોટાલાલ સાગર અને માતા યોગેશ્વરીદેવીને ત્યાં યોગેશ સાગર નામના એક બાળકનો જન્મ થયો. પિતા કસ્ટમ & સેન્ટ્રલ એક્સાઇઝમાં કોન્સ્ટેબલ. ઘરમાં છ ભાઈ-બહેન. પિતાની નાની ટૂંકા પગારની નોકરી. પરિવારનું માંડ ભરણપોષણ થાય.
આવા કપરા સમયમાં યોગેશ માંડ દોઢ વર્ષનો થયો 'ને પિતાનું અવસાન થયું. ઘર ચલાવવાની જવાબદારી ભાઈ શૈલેષ સાગર ઉપર આવી પડી. શૈલેષ ત્યારે બરેલીમાં IVRIમાં ક્લાર્ક. રૂપિયા બે હજાર પગાર. આવા સામાન્ય પગારમાં તો ઘરના સભ્યોનું ખાવાનું પણ કેમ પૂરું થાય..?😢
પરિવારના સભ્યોને ફક્ત એક જ ટાઈમ ભોજન મળતું. એમાં પણ રોટલી સાથે શાકની જગ્યાએ ચટણી જ મોટાભાગે મળતી. જમવાની આવી સ્થિતિ હોય તો ભણવાનું તો ક્યાંથી વિચારી શકાય..!😢 અને છતાં એ બાળકો ભણ્યા. આ બાળકો ક્યારેક તો ભૂખ્યા પેટે પણ સ્કૂલે ચાલ્યા જતા. સગાસંબંધીઓ અને કુટુંબીજનો પાસેથી ફીના પૈસા ઉછી-ઉધારા કરી બાળકો ભણવા લાગ્યા.
ઘરમાં લાઈટ પણ ન હતી. ફક્ત દીવા કે ફાનસના પ્રકાશમાં બાળકો ભણતા. અને 1997માં જ્યારે ઘરમાં પ્રથમ વખત લાઈટ આવી તો આખું ઘર એવું રાજી થયું કે ઉજવણીના ભાગરૂપે તે દિવસે બધા આખી રાત જાગ્યા.
નાનકડું ઘર અને એમાં બે ખાટલા. એકમાં માતા-પિતા સુવે અને બીજામાં છ ભાઈ બહેન એક બીજાને પગ મારતાં ટૂંટીયું વાળી પડ્યા રહે.
આવી દારુણ અને કંગાળ પરિસ્થિતિમાં 2004માં યોગેશે બરેલીની રાજકીય ઇન્ટર કોલેજમાંથી હાઈસ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો. 2005માં યોગેશે કોઈપણ જાતના ટ્યૂશન વગર CPMTની પરીક્ષા પ્રથમ પ્રયત્ને જ સફળતા પૂર્વક પાસ કરી.
આવા જ માંદા દિવસોમાં 2006માં લખનૌમાં KGMUમાં એડમિશન મેળવી યોગેશે MBBSનો અભ્યાસ શરુ કર્યો. 2012માં MBBSનો અભ્યાસ પૂર્ણ કરી ડૉ.યોગેશે સિવિલ સર્વિસિસની પરીક્ષાની તૈયારી કરવાનું નક્કી કર્યું. કારણ કે તેનો ગોલ નક્કી હતો. તેનું ધ્યેય IAS બની વધુનેવધુ લોકોની સેવા કરવાનું હતું.
મોટાભાઈ રોહિતાશ્વ સાગર ત્યારે લખનૌમાં કસ્ટમ & સેન્ટ્રલ એક્સાઇઝમાં કલાર્ક હતા. તેમની પ્રેરણા અને પ્રોત્સાહનથી તથા તેમની સાથે તેમના ક્વાર્ટરમાં રહીને જ યોગેશે UPSCની તૈયારી આરંભી.
2013માં યોગેશ દિલ્હીમાં આવી એક રૂમ ભાડે રાખી સિવિલ સર્વિસિસની તૈયારી પુરજોશમાં આરંભી. 2014માં પહેલી ટ્રાય આપી અને IRS (કસ્ટમ) ક્વોલિફાય થયો.
પછી તો નાગપુરમાં IRSની ટ્રેનીંગ ચાલુ હતી પરંતુ સંતોષ નહોતો થયો. 2015માં ફરી IAS માટે ટ્રાય કરી પણ સફળતા ન મળી. એ સમય દરમિયાન 2016-17માં ફરી IASની પરીક્ષા આપી અને અંતે ધારી સફળતા પ્રાપ્ત કરી.
31 મે, 2016ના રોજ જાહેર થયેલા UPSC ના પરિણામમાં 1033 સ્પર્ધકોમાં 223માં રેંકથી ઉત્તીર્ણ થઈ ડૉ.યોગેશે પોતાનો ગોલ સિદ્ધ કરી બતાવ્યો.
તમને બધાને એમ કે સાહેબ પ્રેમ કરતા શીખવવાના હતા 'ને આ શું ચાલુ કર્યું..!!!😊
હા, મિત્રો !
હું તમને ગરીબી અને અભાવો વચ્ચે પણ સફળતાનાં પ્રેમમાં કેમ પડાય એ જ શીખવવા માગુ છું.
પણ છતાંય તમને યોગેશની થોડી રોમેન્ટિક વાતો કરું.
વાત એમ છે કે ઉત્તરપ્રદેશમાં એક સેવા નિવૃત્ત IAS અધિકારી કે.એમ.સંતની દીકરી મંજૂ (કલાસ વન અધિકારી)ના લગ્ન IPS અધિકારી ડૉ.પી.બી.અશોક (SSP લખનૌ) સાથે થયેલા. આ દંપતીને અવલોકિતા નામે દીકરી. ભણવામાં ખૂબ હોશિયાર. દિલ્હીની લેડી હાર્ડિંગ કોલેજમાં MBBS થયેલી ડૉ.અવલોકિતા આમ તો સુખી ઘરની દીકરી પણ માતા-પિતા(ક્લાસવન અધિકારીઓની દીકરી) કે નાના(IAS)ની દોહિત્રી તરીકે ઓળખાવવા કરતા પોતાની એક અલગ-આગવી ઓળખ ઊભી કરવાનું તેનું સ્વપ્ન હતું.
હવે આ બન્ને વાર્તા (વાસ્તવિક વાતો)ભેગી થાય છે.
ડૉ.યોગેશના મોટાભાઈ રોહિતાશ્વ સાગરની ઓફિસમાં એક ઇન્સપેક્ટર હતા. જે ડૉ.પી.બી.અશોકના પણ મિત્ર હતા. તેમણે ડો.અવલોકિતા માટે ડૉ.યોગેશની વાત કરી. પ્રથમ મુલાકાતમાં જ પી.બી.અશોક ભાવિ જમાઈથી એટલા ઈમ્પ્રેસ થયા કે તાત્કાલિક બન્ને કુટુંબ વચ્ચે મુલાકાત ગોઠવી સંબંધ નક્કી કર્યો.
7 એપ્રિલ, 2016ના રોજ ડૉ.યોગેશ અને ડૉ.અવલોકિતા લગ્ન સંબંધ થી જોડાયા.
પ્રેમકથા હવે જ શરૂ થાય છે. લગ્નની રાત્રે જ આ દંપતી બેડ ઉપર બેઠા બેઠા વાતો કરે છે
યોગેશ: 'તારે શું બનવું હતું...?'
અવલોકિતા : 'આઈ.એ.એસ.'
અને પછી અવલોકિતા યોગેશને પૂછે છે : 'તારી જિંદગીનો ગોલ શું છે..?
યોગેશ : 'ફક્તને ફક્ત આઈ.એ.એસ.'
અને બન્ને વિચારે છે કે તો પછી ડોકટર બની આપણે શું કરીશું...?
અને પછી એ રાત્રે જ બન્નેએ પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી આપણે બન્ને IAS ન બની જઈએ ત્યાં સુધી ક્યાંય ફરવા કે હનિમૂન મનાવવા નહિ જઈએ, ક્યાંય ફિલ્મ જોવા કે શોપિંગ કરવા પણ નહીં જઈએ.
આમ તાજા પરણેલા જુવાન દંપતીએ પોતાની જાતની આકરી કસોટી શરૂ કરી. સફળતા માટે સહન તો કરવું જ પડે ને...!!!
પતિ-પત્નીએ પોતાનો ગોલ ઍચીવ કરવાનું પ્રણ લઈ તનતોડ મહેનત કરી UPSCની પરીક્ષા આપી.
જ્યારે પરિણામ આવ્યું ત્યારે આખા દેશના મીડિયાએ નોંધ લીધી કે કઠોર પરિશ્રમ કરી તાજા પરણેલા નવદંપતીએ એક બીજાને અને ખાસ તો એકબીજાના ગોલને એટલો પ્રેમ કર્યો કે બન્ને જણા IAS થઈ શક્યા છે.
હા, ડૉ.અવલોકિતાએ પણ 915માં રેંકથી UPSC ક્લિયર કરી.
મિત્રો, પતિ-પત્નીનો પ્રેમ કેવો હોય તે આ દંપતી પાસેથી શીખવા જેવું છે.
હવે આ બન્ને જણા ધારે ત્યાં ફરવા જઈ શકે છે...
ધારે તે ખરીદી કરી શકે છે.
અને પોતાના ગોલ પ્રમાણે ગરીબ, લાચાર, મજબૂર, પછાત લોકોને મદદ પણ કરી શકે છે.
નેટ ઉપર સર્ચ કરજો મિત્રો... હીરો-હિરોઈનને શરમાવે તેવા મસ્ત ફોટા આ કપલના તમને જોવા મળશે. આખા દેશના મોટિવેશનલ સ્પીકરો આ દંપતીની સફળતાના ઉદાહરણો પોતાના લેક્ચરમાં આપી રહ્યા છે.
અભાવો વચ્ચે પણ કોઈપણ જાતની ફરિયાદ વગર ઉચ્ચ કક્ષાએ કેવી રીતે પહોંચાય તેનું ઉત્તમ ઉદાહરણ ડૉ.યોગેશ સાગર છે.
તો માતા-પિતાની ઉચ્ચ ઓળખથી ઓળખવા કરતા પોતાનું અલગ અસ્તિત્વ કેવી રીતે ઊભું કરી શકાય તેનું ટ્યુશન અસફળ અમીરજાદાઓએ ડૉ. અવલોકિતા પાસે રાખવું જોઈએ.
મિત્રો, ખૂબ મહેનત કરી આ લેખ તૈયાર કર્યો છે. આપને સૌને વિનંતી છે કે FB, વ્હોટ્સ અપ કે બીજા કોઇપણ માધ્યમથી આ લેખ વધુનેવધુ લોકો સુધી પહોંચાડો.
કોઈ બે-ચાર જણા માટે પણ આ પ્રસંગો પ્રેરણાદાયી બને કે કોઈકની ઉજ્જવળ કારકિર્દી માટે આપણે નિમિત્ત બનીએ તો એનાથી મોટો આનંદ બીજો કયો હોય..!😊
No comments:
Post a Comment
Your Comments Here...