*સમજણ વિના રે સુખ નહીં જંતને રે;*
*વસ્તુગતિ કેમ કરી ઓળખય ?*
*આપમાં વસે છે આપનો આતમા રે,*
*તેથી કાંઈ જીવપણું નવ જાય -ટેક*
*રવિ રવિ કરતાં રે રજની નહીં મટે રે,*
*અંધારું તો ઊગ્યા પૂંઠે જાય;*
*રુદે રવિ ઊગે રે નિજ ગુરુજ્ઞાનનો ,*
*થનાર હોય તે સહેજે થાય - સમજણ*
*જળ જળ કરતાં રે તૃષ્ણા નવ ટળે રે,*
*ભોજન કહેતાં ન ભાંગે ભૂખ;*
*પ્રેમરસ પીતા રે તૃષ્ણા તુરત ટળે રે,*
*એમ મહાજ્ઞાનીઓ બોલે છે મુખ -સમજણ*
*પારસમણિ વિના રે જે પથરા મળે રે,*
*તેણે કાંઈ કાંચન લોહ ન થાય;*
*સમજણ વિના રે જે સાધન કરે રે,*
*તેથી કાંઈ જીવપણું નવ જાય -સમજણ*
*દશ મણ અગ્નિ રે લખિયે કાગળે રે,*
*એને લઈ રૂમાં જો અલપાય;*
*એની અગ્નિથી રે રૂ નથી દાઝતું રે,*
*રતી એક સાચે પ્રલય જ થાય - સમજણ*
*જીવપણું મટે રે અનહદ ચિંતવ્યે રે,*
*એ તો વાણીરહિત છે રે વિચાર;*
*જે જે નર સમજ્યા રે તે તો ત્યાં સમ્યા રે,*
*કહે અખો ઊતર્યા પેલે પાર -સમજણ*
No comments:
Post a Comment
Your Comments Here...