ભાણ સાહેબ ના પરચા
(૧) વડોદરાના સેના પતિ શેખહુશેનુ દીનના વળતા પાણી કર્યા
એક વાર ભાણ સાહેબને સુરતથી ભજનનુ આમંત્રણ આપવામા આવ્યુ હતું. ભાણસાહેબ તેની ભજન મંડળીની ફોજ સાથે અનેક સ્થળે ભજનના પોગ્રામા કરવા જતા હતા તેથી તેઓ સુરત આ ભજનના પોગ્રામમા ગયેલા અને સુરતથી પોતાનુ ગાડુ જોડી વડોદરા આવી રહયા હતા. આ બળદ ગાડાના બળદોને સુંદર મજાની જુલો ઓઢાડી ગાડુ શણગારવામા
આવ્યુ હતુ. ભાણ સાહેબ જેવા વડોદરાની હદમા પહોચ્યા તે વખતે નવાબના સેનાપતિ શેખહુશેનુ દીન જોઈ ઈર્ષા કરવા લાગ્યા અને તેણે આ વડોદરાના નવાબ આગળ જઈ ભાણ સાહેબની ખોટી ફરીયાદ કરતા અને વડોદરાના નવાબ આ સેનાપતિની ખોટી ફરિયાદને મહત્વ આપતા જેવા ભાણ સાહેબ વડોદરામા દાખલ થયા કે તરત જ તેને નવાબની કચેરીમા બોલાવીને તેને જેલમા પુરી દીધા.
ભાણ સાહેબ જાણતા હતા કે મને વડોદરાના નવાબે મારી કોઈ વાત સાંભળ્યા સિવાય તેના સેનાપતિની ખોટી કાન ભંભેરણીથી મને જેલમા પુરી દીધો છે. ભાણ સાહેબ એવુ પણ વિચારવા લાગ્યા કે માનવીના જીવન સમય ગાળામા આવતા સુખ અને દુ:ખના આવરણો માનવીના કર્મ ભોગ ભોગવવાના કારણે જ આવતા હોય છે તેથી મારી જો કોઈ ભૂલ હશે તો તેનો ભોગ મારે ભોગવવો પડશે અને મને જો ખોટી રીતે હેરાન કરવાના બદ ઈરાદાથી આ બાબત ઉભી થઈ હશે તો પરમાત્મા તેના ભકતનુ કાયમ ધ્યાન રાખતા હોવાથી તેને આ વાતની જાણ તરત જ થશે અને તે જ આવીને મને મારી મુશ્કેલી દુર કરશે. ભાણ સાહેબ વિચારવા લાગ્યા કે મારે બીજા કોઈને દોષ દેવાનો રહેતો નથી ભગવાનનુ કામ ભગવાન જ કરશે તેમ વિચારીને પરમાત્માના રટણમા લાગી ગયા અને જેલમા ભજનની રચના કરી અને ગાવા લાગ્યા. ભાણ સાહેબ ભજન દવારા વિનંતી કરીને પરમાત્માને કહે છે કે,
(૧) અસુરોને મન દયા આણો,
એમ ભણે લોહાણો ભાણો,
(ર) મીરાબાઈને મારવા જે દી, રાણો રાય રિસાણો.
કંઠડે જાતા અમૃત કીધા, તે દી વિષનો પ્યાલો પીવાણો. અસુરો
(૩) હોલો રાણો હરિને ભજતો, ચંડાળની નજરે ચઢાણો,
પારધીને પગે વસીયલ કસિયો, શિર માર્યા સિયાણો. અસુરો
(૪) નાના ભગતનુ નીગળ કીધુ, જે દી સાપરો છત્રાણો.
કબીરના માથે કરુણ કીધી, મરધલો છેદાણો. અસુરો
(પ) ઉંડા જળમા જે દી ગજને ગરાયો, જે દી જુંડ થયો જમરાણો. વારે ચડી પ્રભુ વહેલા પધાર્યા, અહી આવ્યાનો છે ટાણો. અસુરો
ભજનનુ વિવરણ
(૧) અસુરોને મન દયા આણો,
એમ ભણે લોહાણો ભાણો.
ભાણ સાહેબને વડોદરાની જેલમા પુરતા આ જેલમા ભજનની રચના કરી પરમાત્માને વિનંતી કરે છે કે હે, પરમાત્મા આ જગતમા તમામને તારા દવારા સર્જન કરીને આ સંસારમા મોકલવામા આવેલ છે અને એવી પણ સમજણ આપી છે કે તારા પ્રારબ્ધ કર્મ અગાઉ માતાના ઉદરમા ગર્ભનુ બંધારણ થયેલ ન હતુ તે પહેલા જ આવા પ્રારબ્ધ કર્મો કેટલા ભોગવવાના છે તે નકકી થયેલ છે તેથી સંસારમા જઈ કર્મના ભોગની ચિંતા નહી કરતા તે ભોગ ભોગવવા મહેનત કરવાની જ જરૂર છે. બાકીના સમયનો પરમાત્માના નામ સમરણ કરવાના કામે જ લગાડી તેનો ઉપયોગ કરવાનો છે. ભાણ સાહેબ કહે છે કે આ જીવાત્માને દેહાધ્યાસનો રોગ લાગુ પડી જતા તેમજ જીવપણુ વળગી જતા આ વાતને ભૂલી જઈ ભૈાતિક સુખમા જ સાચુ સુખ સમાયેલુ છે તેવુ અજ્ઞાન ઉભુ થતા તે આમ તેમ ફાંફાં મારીને લોકો સાથે છેતરપીંડી કરીને ધન કમાવાની મહેનતમા લાગી ગયા છે. આ વાતને જે સમજે છે તે આ રાહે ચાલવાનો પ્રયત્ન કરે છે. આ સમયે આવા અસુર જીવો તેને હેરાન કરવા પોતાના અહંમને પોચવા ખોટા આક્ષોપો કરીને હેરાન કરવાનો પ્રયત્ન કરી રહયા છે અને તેના માથી દયા મરી પરવારી છે તેથી કોઈ પર દયા લાવતા નથી. હે, પરમાત્મા આવા જીવો સંસારમા રહે છે તેવા જીવોને સદ બુધ્ધિ આપો જેથી નિર્દોષ જીવો શાંતીથી જીવીને પોતાના જીવનનો સમય સારી રીતે પસાર કરી શકે.
(ર) મીરાબાઈને મારવા જે દી, રાણો રાય રિસાણો,
કંઠડે જાતા અમૃત કીધા, તે દી વિષનો પ્યાલો પીવાણો.
ભાણ સાહેબ જેલમા બેઠા બેઠા તેના ભજનની બીજી કડી દવારા પરમાત્માને કહે છે કે હે, પરમાત્મા એકવાર મીરાબાઈના દીયર (સંગ્રામસિંહ)રાણાજી તેના ઉપર ગુસ્સે થતા તેને મારી નાખવા માટે ઝેરનો કટોરો મીરાબાઈને મોકલાવીને એવુ કહેવામા આવેલ કે જો તમને પરમાત્મા ઉપર વિશ્વાસ હોય તો આ ઝેરનો કટોરો પીય જાવ, જો તમારી શ્રધ્ધા સાચી હશે તો તમારો પરમાત્મા તમને બચાવી લેશે આ વખતે આવુ કહેણ મોકલી મીરાબાઈના મહેલે પોતાના માણસને આ ઝેરનો કટોરો આપવા માટે મોકલવામા આવ્યો અને રાણાએ કહેલા શબ્દો મીરાબાઈને સંભળાવવાનુ કહેવામા આવ્યુ. આ માણસ મીરાબાઈના મહેલે આવી ઝેરનો કટોરો રાણાજીએ તમારા માટે મોકલવામા આવેલ છે અને તમને આ ઝેર પીય જવાનુ જણાવેલ છે અને રાણાજીએ સંદેશો પાઠવેલ છે કે જો તમારો પરમાત્મા ઉપરનો વિશ્વાસ સાચો હશે તો પરમાત્મા તમને બચાવી લેશે. ભાણ સાહેબ કહે છે કે હે, પરમાત્મા આ વખતે મીરાબાઈએ કોઈ પણ જાતનો સંકોશ રાખ્યા સિવાય તારા ઉપર વિશ્વાસ મુકીને આ ઝેરનો કટોરો પીય જતા જયારે ઝેર તેના કંઠથી નીચેના ભાગે હેઠુ ઉતરે તે પહેલા આ ઝેર ઝેર મટીને અમૃત બની ગયેલ અને મીરાબાઈને અમૃતના ઓડકાર આવ્યા હતા અને તે બચી ગયા હતા. હે, પરમાત્મા તો મને પણ આજે આવી જ મુશ્કેલી આવી પડી છે તો મને પણ બચાવી આ જેલ માથી મુકત કરાવો.
(૩) હોલો રાણો હરિને ભજતો, ચંડાળની નજરે ચઢાણો,
પારધીને પગે વસીયલ કસિયો, શિર માર્યા સિયાણો.
ભાણ સાહેબ તેના ભજનની ત્રીજી કડી દવારા વિનંતી કરતા જણાવે છે કે હે, પરમાત્મા એક હોલા જેવુ નાનુ પક્ષી કાયમને માટે તારું રટણ કરતુ હતુ. એક દિવસ એક શિકારી શિકાર કરવા આવ્યો અને હોલો તેની નજરે ચડતા તેનો શિકાર કરવાનુ મન થયુ હતુ. આ વખતે હોલાને ખ્યાલ આવી ગયો કે આ શિકારી મને મારી નાખશે તેથી તે ઉડી જવાનો પ્રયત્ન ન કરતા પરમાત્મા ઉપર વિશ્વાસ રાખીને તેને રામ નામ રટવાનુ ચાલુ રાખ્યુ આ વખતે પરમાત્માને પોતાના ભકતની મુશ્કેલીનો ખ્યાલ આવી જતા તેને બચાવી લેવા સર્પને મોકલીને આ શિકારીના પગે દંશ દેતા શિકારીનુ મૃત્યુ થયુ અને હોલો બચી ગયો. હે, પરમાત્મા તે આવા તારા ભકતોને તેના મરણના મુખ માથી બચાવી લીધા છે તો મારે તો ફકત આ જેલ માથી છુટવુ છે તો આપ આવી મને જેસમાથી છોડાવો.
(૪) નાના ભગતનુ નીગળ કીધુ, જે દી સાપરો છત્રાણો.
કબીરના માથે કરુણા કીધી, મરધલો છેદાણો.
ભાણ સાહેબ તેના ભજનની ચોથી કડી દવારા પરમાત્માને વિનંતી કરતા કહે છે કે હે, પરમાત્મા નાનાભગતનુ તે કામ કરી આપ્યુ છે અને કબીરે પોતાના અહંમનો નાશ કરવા તને વિનંતી કરતા તે તેના મન રૂપી મરધલાને મારીને તેના મનને શાંત કરી આપી જગતમા તેની પ્રસિધ્ધિ કરાવી આપી છે. હે, પરમાત્મા તો મારે મારી પ્રસિધ્ધિ નથી કરાવવી પણ આ જેલ માથી મૃકત થવુ છે તેથી આવી મને જેલ માથી મૃકત કરાવો.
(પ) ઉંડા જળમા જે દી ગજને ગરાયો, જે દી જુંડ થયો જમરાણો.
વારે ચડી પ્રભુ વહેલા પધાર્યા, અહી આવ્યાનો છે ટાણો.
ભાણ સાહેબ તેના ભજનની પાંચમી કડી દવારા પરમાત્માને વિનંતી કરી કહે છે કે હે,પરમાત્મા એકવાર એક હાથી તળાવે પાણી પીવા ગયેલો અને આ તળાવમા રહેતા એક જુંડ નામના જળચરે તેને જોઈ જતા તેનો શિકાર કરવા તેનો પગ પકડીને તેને જળમા ઉંડે સુધી ખેંચી ગયો હતો. આ વખતે હાથીની ફકત સૂંઢ જ પાણીની બહાર હતી અને હાથીએ પરમાત્માનો આરાધ કરતા જુંડનો નાશ કરીને હાથીને બચાવી લીધો હતો. હે, પરમાત્મા તો મને પણ બચાવવાનુ ટાણુ આવી ગયુ છે અને હું પણ મુશ્કેલીમા મુકાયો હોવાથી તને આરાધી રહયો છુ. હે, પરમાત્મા તો આ સમયને મહત્વ આપીને મને ઉગારી લો.
ભાણ સાહેબનો આરાધ પરમાત્માએ સાંભળતા રાત્રીના સમયે વડોદરાના સુબાને પેટમા અસહય દુ:ખાવો ઉપડયો અને સુબો વિચારવા લાગ્યો કે મે એક ભકતને જેલમા કોઈ પણ વાંક ગુનો સાંભળ્યા કે જોયા સિવાય ફકત સેનાપતિની વાતમા વિશ્વાસ મુકીને મે તેમને જેલમા પુરી દીધા છે તે મારી ભૂલ છે. આ વાતનો પસ્તાવો થતા રાત્રીના સમયે જેલ પાસે આવી જેલનુ બારણુ ખોલાવીને ભાણ સાહેબને મૃકત કર્યા અને ભાણ સાહેબની માફી માગી. ભાણ સાહેબને જેલ માથી છોડાવ્યા બાદ તેને એક ધોડો, જરીયલ નેજો અને જરીયલ સાલ આગ્રહ કરીને ભેટ આપી અને સન્માન સાથે વિદાય આપી. ભાણ સાહેબે આ જરકચી સાલ અને નેજો પાછળથી શેરખીની જગ્યામા આપી દીધા હતા.
(ર) શેરખીના ઠાકોર હરિસિંહજીની બે પત્નીઓને બાવાની શૃગાલ માથી છોડાવી.
એક વાર ભાણ સાહેબ ફરતા ફરતા શેરખી ગામે આવ્યા આ શેરખી ગામના જીવાજી ઠાકોરના નાનાભાઈ હરિસિંહજી ઠાકોરની બે પત્નીઓને કોઈ બાવો મેલી વિધા ચલાવીને તેને ઉપાડી ગયો હતો આ વાતનો ભાણ સાહેબને ખ્યાલ આવતા આ બાવા પાસેથી ભાણ સાહેબે આ બે સ્ત્રીઓને છોડવીને ઠાકોરને સોપી અને સ્ત્રીઓની મુશ્કેલી દુર કરી
(૩) રાધનપુરના નવાબ ગાજયુખાનનો અહંમ ઉતારી દીધો
એક વખત ભાણ સાહેબને રાધનપુરથી ભજન ગાવાનુ આમંત્રણ મળ્યુ અને ત્યાના મોહનદાસ નામના સાધુએ તેમને ભજનના પોગ્રામ માટે બોલાવ્યા હતા. ભાણ સાહેબ તેની ભજન મંડળીની ફોજ સાથે શેરખી આવતા પોતાનો તંબૂ બાંધી તેના ઉપર સોનેરી જરકશી ધજા લગાડીને ઉતારો કર્યો. આ બાબતની આ રાધનપુરના નવાબને જાણ થતા તેણે તેના સેના પતિને બોલાવીને હુકમ કર્યો કે આ ભાણ સાહેબના તંબૂને ઉખેડીને ફેંકી દો. આ વખતે તેનો સેનાપતિ અને ચાર પાંચ માણસો અહીંયા આવીને તંબૂને ઉખેડી ફેંકી દેવાનો પ્રયત્ન કરવા લાગ્યા પણ તંબૂને હટાવી ન શકયા. આ સેનાપતિ ભાણ સાહેબની પાસે આવી તેને પગે લાગી માફી માંગી. આ સમયે ભાણ સાહેબે ઉપદેશ આપતા કહયુ કે હે, ભાઈઓ જયા સુધી અંતરની ગાંઠ છુટતી નથી ત્યાં સુધી પરમાત્મા આપણી કોઈ અરજ સ્વીકારતા નથી તેથી જો તમારે તમારી અરજ પરમાત્મા પાસે પહોચાડવી હોય તો પ્રથમ તો તમારે તમારી અંતરની ગાંઠને છોડવી પડશે તો જ પરમાત્મા તમારી અરજ સાંભળી તમને તમારા સંકટ માથી મૃકત કરશે પણ ગાંઠ છુટશે નહી તો તમારી અરજ પરમાત્મા સાંભળશે નહી.
(૪) કચ્છ(ભુજ)ના રા,દેશળના પુત્રને પરચો આપ્યો.
એક વાર કચ્છના રા દેશળે ભુજમા સવરા મંડપનુ આયોજન કરી અનેક સંતોને આ સવરા મંડપમા હાજરી આપવા આમંત્રણ આપ્યુ. આ સમયે ભાણ સાહેબ પણ પોતાની ભાણફોજ સાથે ભુજમા આ પ્રસંગે આવ્યા. રા દેશળે તમામ સંતોનુ સારી રીતે સ્વાગત કરી તેનુ સન્માન કર્યુ. આ વખતે રા દેશળના પુત્ર લખપતજીએ તમામ સંતોને પોતાનો પરચો બતાવવાનુ કહયુ. આ વખતે કેટલાક સંતો આ વાત સાંભળીને ચાલ્યા ગયા અને કેટલાક સંતો ત્થા ભાણફોજ પોતાના તંબૂમા રહયા. બીજા દિવસે સવારે લખપતજી આ સ્થળે આવતા તેણે ભાણ સાહેબને પોતાની ફોજ સાથે આ તંબૂમા જોયા અને તેને નવાઈ લાગી. લખપતજીીએ ભાણ સાહેબ પાસે આવીને પરચો આપવા કહયુ ત્યારે ભાણ સાહેબે લખપતજીને પશ્ચિમ દિશા તરફ જોવાનુ કહયુ. લખપતજીએ પશ્ચિમ દિશા તરફ નજર નાખતા તેને ભાણ સાહેબ તેના પચાસ જેટલા સંતો સાથે ધોડા ઉપર સવારી કરી હાથમા નેજો ધારણ કરી દેખાયા અને દરેક દિશામા નજર કરતા આ મુજબ દશ્ય દેખાતા લખપતજીએ ભાણ સાહેબની માફી માંગી અને તેને પગે લાગી તેને વંદન કર્યા. આ વખતે લખપતજીને પસ્તાવાના પાર ન રહયો અને ભાણ સાહેબને સન્માન સાથે વળાવી દીધા.
(પ) મેપા ભગતની રામદુહાઈ પુરી કરી.
ભાણ સાહેબ એક વખત પોતાની ભાણ ફોજ સાથે ભજન કીર્તનનો પોગ્રામ કરી ફરતા ફરતા કમીજડા ગામે આવ્યા. આ કમીજડા ગામે મેપાભગત નામના એક ભગત રહેતા હતા. ભાણ સાહેબ ફરતા ફરતા આ મેપા ભગતને ધેર આવ્યા અને મેપા ભગતના ખબર અંતર પુછતા તે ધેર ન હતા તેથી તેની પત્નીને કહયુ કે ભાણ સાહેબ આવ્યા હતા અને તેઓ આજે વિદાય લેવાના છે તેવા સમાચાર આપજો તેમ કહીને ભાણ સાહેબ ચાલતા થયા. ભાણ સાહેબની અંતિમ વેળાએ તેને વળાવવા માટે કમીજડા ગામના પાદરે આવેલ એક તળાવની પાળે બધા એકઠા થયા હતા અને વચ્ચે ભાણ સાહેબ ઉભા હતા. આ સ્થળેથી વિદાઈ લઈ જયારે આગળ જવાનો પ્રયાસ કરતા હતા. મેપા ભગત તેના ધેર આવતા તેમની પત્નીએ સમાચાર આપ્યા કે ભાણ સાહેબ આવ્યા હતા અને તેઓ આજે જ વિદાય લેવાના છે તેવા સમાચાર આપી ગયા છે. મેપા ભગતે તેમની પત્ની પાસેથી વાત સાંભળતા તરત જ ભાણ સાહેબની તપાસમા નીકળી પડયા. મેપા ભગત ભાણ સાહેબ અને લોકોના ટોળાને જોઈ જતા દુરથી મેપા ભગતે કહયુ કે ભાણ સાહેબ આપ જયા છો ત્યાં જ રોકાઈ જજો આ સ્થળેથી તમે એક ડગલુ પણ આગળ ચાલશો તો તમને રામ દુહાઈ છે. આવા શબ્દો સાંભળી ભાણ સાહેબ આ તળાવની પાળે અટકી ગયા અને આગળ ચાલ્યા નહી. ભાણ સાહેબ તેને વળાવવા આવેલ લોકોને કહયુ કે હવે મારાથી એક ડગલુ પણ આગળ પાછળ ચાલી શકાય તેમ નથી તેથી મારી સમાધિની તૈયાર અહીંયા જ કરો. ભાણ સાહેબે તળાવની પાળે સમાધિ લેવાનુ જણાવતા લોકોને આધાત લાગ્યો. થોડી વારમા મેપા ભગત આવી ગયા અને ભાણ સાહેબને અહીંયા જ સમાધિ લેવાની વાત થઈ છે તે વાત સાંભળી મેપા ભગત ભાણ સાહેબને પગે લાગી અને સોધાર આંસુડે રડવા લાગ્યા અને પોતે આપેલ રામ દુહાઈ અંગે પસ્તાવો કરવા લાગ્યા. ભાણ સાહેબે આસવાસન આપી ભગતને શાંત કર્યા. ભાણ સાહેબની સમાધિ ગાળવાની કામગીરી શરૂ કરવામા આવી અને સમાધિની જગ્યા તૈયાર થઈ જતા ભાણ સાહેબ સાથે કાયમ રહેતા તેનો ધોડો અને કુતરો આ સમાધિમા ઉતરવા લાગ્યા ભાણ સાહેબે તેને મંજુરી આપતા તે બંનેએ સમાધિ લીધી અને પછી ભાણ સાહેબે આ જ સ્થળે કમીજડા મુકામે તળાવની પાળે સમાધિ લઈ વિદાઈ લીધી.
ભાણ સાહેબની સમાધિની વાત સાંભળતા શેરખીથી તેના શિષ્ય રવિસાહેબ ત્થા ભાણ સાહેબના પત્ની ભાણીબાઈ ત્થા તેના ભાભી કુવરબાઈ આવી પહોચ્યા અને વારાહીથી તેમના પુત્ર ખીમ સાહેબ પણ આ સ્થળે આવી ગયા સમાધિની વિધી પુરી કરી. આ તમામ કમીજડા ગામમા આવ્યા અને મોટો ઉત્સવ કર્યો. ભાણ સાહેબની સમાધિના સમયથી એક વર્ષો બાદ મેપા ભગતે ભાણ સાહેબની બાજુમા સમાધિ લીધી. ભાણ સાહેબે અનેક ભજનો રચ્યા હતા અને હાલ પણ તેના ભજનો અનેક લોકોના મુખેથી સાંભળવા મળે છે.
એકવાર કબીર સાહેબ દરિયા કિનારે ઉભા હતા ત્યારે દરિયાના મોજા ઉછળીને તેના પગ પંખાળવા લાગ્યા અને વિનંતી કરી કે મને શિષ્ય બનાવીને ઉપદેશ આપો. આ વખતે કબીર સાહેબે કહયુ કે હુ જયારે ભાણ તરીકે અવતાર લઈશ ત્યારે તને ઉપદેશ આપીને શિષ્ય બનાવીશ તુ તે વખતે મારા પુત્ર તરીકે અવતાર ધારણ કરજે તેથી દરિયાદેવ ખીમ સાહેબ તરીકે ભાણ સાહેબને ધેર જન્મ લીધો તેથી ભાણ સાહેબને કબીરનો અવતાર માનવામા આવે છે.
No comments:
Post a Comment
Your Comments Here...